10 મહિનાનું બાળક સીંગ તો 2 વર્ષનો છોકરો ટાંકણી ગળી ગયો, સિવિલ હોસ્પિટલમાં મળ્યું નવજીવન

બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. જોષીએ સિક્કા, ટાંકણી, સેલ, રમકડાનો એલ.ઇ.ડી. બલ્બ, ફિનાઇલ જેવા પદાર્થોને બાળકોથી દૂર રાખવાનો અનુરોધ કર્યો હતો.

Courtesy: અમિત ચાૈહન

Share:

હાઈલાઇટ્સ

  • બાળકને ટાંકણી, સિક્કા જેવી વસ્તુઓ મોઢામાં નાખવાની ટેવ છે?
  • રાજ્યમાં માતા અને પિતા માટે ચેતવણીરૂપ 2 કિસ્સા સામે આવ્યા

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં માતા-પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી વાલીએ પોતાના બાળકોની ચિંતા કરવાની ખૂબ જ જરૂર છે. પ્રસ્તુત કેસ પ્રિન્સ ખાંટનો છે, જે માત્ર 10 મહિનાનું બાળક કે જે અરવલ્લી જિલ્લાના શંભુ ખાંટનો એક માત્ર પુત્ર છે. તે થોડા દિવસ પહેંલા સોયાબિનની સીંગ ગળી ગયો હતો. જેના પરિણામે 28 ડિસેમ્બરના રોજ તેને એકા-એક શ્વાસ લેવમાં ખૂબ જ સમસ્યા ઉભી થવા લાગી. માતા-પિતાને આ સમસ્યા વધુ ગંભીર જણાતા તેઓ બાળકને લઈને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

Ahmedabad Civil Hospital
શ્વાસ નળીમાં ફસાયેલા કઠોડના દાણા Amit Chauhan

હિંમતનગરથી અમદાવાદ સિવિલ ખસેડાયો
પરંતુ આ સમસ્યા અત્યંત ગંભીર હોવાથી ઓક્સિજન સપોર્ટની સાથે નિષ્ણાંત બાળરોગ સર્જરી તબીબોની જરૂરિયાત આ કેસમાં ત્યાના તબીબોને જણાઇ આવી. જેથી તેઓએ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. 29મી ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગે આ બાળક પ્રિન્સને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

સર્જરી બાદ મળ્યું નવજીવન
સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાના માત્ર બે કલાકની અંદર જ તેના એક્સ-રેના આધારે ઇમરજન્સી બ્રોન્કોસ્કોપી કરીને ડાબા ફેફસામાં ફસાયેલા સોયાબીનના દાણાને દૂર કરવામાં આવ્યા હતા. સર્જરી અત્યંત જટિલ હતી પરંતુ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે છેલ્લા બે વર્ષમાં અંદાજીત 51 જેટલા આવા બાળકોની બાહ્ય પદાર્થ ગળી જવાની સર્જરી કરી છે. આ બહોળા અનુભવના પરિણામે અને પ્રિન્સની માતા-પિતાની સતર્કતાથી માત્ર બે કલાકમાં જ આ બાળકની સર્જરી કરીને આ સોયાબીનનો દાણો કાઢવામાં સફળતા મળી. અને હવે બાળક પુન: પહેલાની માફક જ શ્વાસ લઇ શકે છે.

આવો જ એક અન્ય કિસ્સો સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં જ બન્યો. જેમાં 2 વર્ષનો યુસુફ નામનો બાળક કે જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે તે ટાંકણી ગળી ગયો હતો. આમ જોવા જઇએ તો યુસુફના પિતા મોહંમદ કૌસર શેખ વ્યવસાયે દરજી છે. એક દિવસ આ બે વર્ષનો યુસુફ ઇશારા કરીને તેની માતાને કહી રહ્યો હતો કે તે કંઇક ગળી ગયો છે, જેથી તેને પણ શરીરમાં સમસ્યાઓ ઉભી થતા માતા-પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને દોડી આવ્યા હતા. આ કિસ્સામાં જ્યારે સી.ટી. સ્કેન કરવામાં આવ્યુ હતુ ત્યારે કોઇ બાહ્ય પદાર્થ બાળક ગળી ગયું છે જે મેટલનું છે તેવું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું હતુ.

પરંતુ આ કિસ્સામાં મહત્વની બાબત એ બની રહી કે, તબીબોના અનુભવના પરિણામે જ્યારે આ બાહ્ય પદાર્થના ચોક્કસ સ્થાનની ખબર પડી ત્યારે તબીબોના મોનટરિંગ હેઠળ તેને મળ માર્ગે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. માતા-પિતાના ધીરજ, બાળકના સહકાર અને તબીબોના અનુભવના લાભથી યુસુફને કોઇપણ જાતની સર્જરી કર્યા વિના જ આ મોટા આકારની ટાંકણી મળમાર્ગે કાઢવામાં સફળતા મળી.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, આ બંને કિસ્સા જોઇને માતા-પિતાએ ચેતવાની જરૂર છે. બાહ્ય પદાર્થ ગળી જતા ઘણાં કિસ્સામાં સર્જરી વિના પણ અનુભવ અને ધીરજના પરિણામે તબીબોના સતત મોનિટરિંગ દ્વારા પણ  બાહ્ય પદાર્થ મળ માર્ગે અથવા મોંના માધ્યમથી દૂર કરી શકાય છે. પરંતુ જો આવો પદાર્થ ગળી ગયા બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાય અને એ પદાર્થ નળીમાં ફસાઇ ગયું હોય તો ચોક્કસપણે સર્જરી કરીને જ આ સમસ્યા દૂર કરી શકાય છે જે પ્રિન્સના કિસ્સામાં બન્યું છે.